મોક્ષમાર્ગ ધર્મ


लोकानां हृदये भूयात् परेशवृत्तिरुत्तमा ।
वेद्कालोद्भवं बोधं कृते च विश्रुतं हितम् ।।
मोक्षधर्मं दर्शयते मोक्षधर्मप्रवर्तक: ।
सद्‍गुरुवल्लभो्यं नः जयताच्‍च सनातनः ।।

(લોકહૃદયમાં પરમાત્‍મા ભણી ઉત્તમ વૃત્તિ થાય તે માટે વેદકાળના અને સત્‍યયુગના મોક્ષધર્મનું જેઓ દર્શન કરાવે છે તે મોક્ષધર્મ પ્રવર્તક વલ્લભરામ અમારા સદ્‍ગુરુ છે.)

મોક્ષમાર્ગ ધર્મ આ વિષય અતિ મહત્‍વનો છે અને દરેક વાચકવર્ગને આ ધર્મ સબંધી જાણવાની જીજ્ઞાસા હશે તેમ માની આ ધર્મનું આલેખન અહી કરવામાં આવે છે. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પોતાના સનાતન ગુરુ વિશ્વેશ્વર નારાયણની કૃપાથી પુરાતન સત્‍ય ધર્મ શું તે નિષ્‍પક્ષપાત દ્રષ્ટિએ વિચાર્યું તો તેમને ઉત્તમોત્તમ અને પરમ કલ્યાણરૂપ મોક્ષધર્મ જણાયો. આ સંશોધન તેમને પૂર્વજન્‍મોના પૂણ્‍યયોગબળથી પ્રાપ્ત થયેલ હોવાથી તે જ માર્ગે તેઓ ચડ્યા અને ભારતની જનતાને પણ મોક્ષમાર્ગે ચડવાનો આદેશ આપ્‍યો. મોક્ષમાં આત્‍માને પ્રીતિ ઉપજાવે તેનું નામ “મોક્ષમાર્ગ” છે માટે મોક્ષની ઇચ્‍છાવાળા મોક્ષેચ્‍છુ આત્‍માએ મોક્ષ મેળવવા મોક્ષમાર્ગનું પાલન કરી તેને અનુસરવું જોઇએ. દૂધમાંથી સંશોધન કરી કાઢેલા દૂધના ધૃત સમાન તમામ ધર્મનું મૂળતત્વ મોક્ષધર્મ છે. વેદકાળ અને ઉપનિષદકાળમાં જેને અમૃતગમન અથવા બ્રહ્મકર્મ કહેવાતું અને બ્રહ્મદીક્ષા અપાતી હતી, તેને પાછળના કાળમાં અને પુરાણકાળમાં મોક્ષધર્મ યાને મોક્ષમાર્ગ કહીને વર્ણવેલ છે. તેથી મોક્ષેચ્‍છુઓએ પ્રણવમંત્રથી પરમાત્‍મા - પરમેશ્વરનું ઘ્‍યાન કરવું અને જ્ઞાન સહિત સાધના કરવી તેનું જ નામ મોક્ષધર્મ છે. વેદકાળ અને ઉપનિષદકાળમાં જેને “અમૃતગમન અથવા બ્રહ્મકર્મ” કહેવાતું તેને પાછળના કાળમાં અને પુરાણકાળમાં મોક્ષધર્મ યાને મોક્ષમાર્ગ કહીને વર્ણવેલ છે. બ્રહ્મજ્ઞાન વડે ભેદનું હનન કરનાર અને એકલા પરમેશ્વરની પ્રણવ વડે ઉપાસના કરનાર જન્‍મ - મૃત્‍યુનું ઉલ્લંઘન કરીને મોક્ષ પ્રાપ્તિ કરે છે, તે મોક્ષમાર્ગ સમજો. મોક્ષપ્રાપ્તિ માટે આ સિવાયનો બીજો અન્‍ય પંથ કે અન્‍ય સાધન વિદ્યમાન નથી. મોક્ષપ્રાપ્તિ કરાવનાર માત્ર એક મોક્ષમાર્ગ જ સાધન છે તથા તે જ મોક્ષદાતા છે. મોક્ષધર્મના પ્રવર્તક અને અમારા સનાતન સદ્‍ગુરુશ્રી વલ્લભરામના શબ્‍દોમાં “મોક્ષ એ કોઇ ગામ, તળ, શહેર કે દેશ નથી પણ આત્‍માની હૃદય - ગ્રંથીઓને શુઘ્‍ધ નિર્મળ, નિર્દોષ બનાવી પરમ પરમાત્‍મસ્‍વરૂપમાં વિલય કરવો તેનું જ નામ મોક્ષ છે. માટે પરમપદ મોક્ષને માનવજીવનનો પરમ આદર્શ સમજશો અર્થાત મોક્ષેચ્‍છુ થશો તે જ વખતથી તમે મોક્ષધર્મી યા મોક્ષમાર્ગી છો.” આવા મોક્ષધર્મના મહાન જયોતિર્ધરો અને વિશ્વેશ્વર નારાયણના સંદેશવાહકો જેઓએ ભુલાય ગયેલા મોક્ષધર્મનો ઉદય કર્યો તેવા પરમ વિભૂતિ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલને અમારા વંદન હો !



આજનું વીણેલું મોતી
હજારો સિદ્ધિઓ કરતા પણ પ્રભુ ગુરુની દયા એવી શ્રેષ્ઠ વસ્તુ છે કે જેની પાસે સિદ્ધિઓ કઈ જ કરી શકતી નથી. પરંતુ તે કૃપા મેળવવા જેટલી મનુષ્યમાં સહનશીલતા, ધર્મપરાયણતા અને ધૈર્ય હોય તો જ કૃપા મેળવી શકાય છે.

top